

કાનજી ધામોત. મહીસાગર
*પૂર્વ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરની અનોખી ઉતરાયણ*
*સાબરી ધામ ખાતે મકરસંક્રાંતિની ભાવભીની ઉજવણી, 8 કિમી પદયાત્રા કરી*
સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મકરસંક્રાંતિ પર્વની અનોખી રીતે ઉજવણી કરી. તેમણે ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ સાબરી ધામ ખાતે પહોંચીને ધાર્મિક આસ્થાભરી રીતે ઉતરાયણ મનાવી.
મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ડૉ. કુબેરભાઈ ડિંડોરે પંપા સરોવરથી સાબરી ધામ સુધી લગભગ 8 કિલોમીટરની પદયાત્રા કરી હતી. પદયાત્રા દરમિયાન “જય શ્રી રામ”ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પૌરાણિક માન્યતા મુજબ ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન મકરસંક્રાંતિના દિવસે ભીલ પરિવાર માં જન્મેલ માતા સાબરીની ઝૂંપડી પર આવ્યા હતા અને તેમના એંઠા પરંતુ પ્રેમભર્યા મીઠા બોર સ્વીકાર્યા હતા. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં ડાંગ જિલ્લાના ચમક ડુંગરી વિસ્તારને આજે સાબરી ધામ તરીકે ઓળખવામાં આવે છે.
સાંજે ડૉ. કુબેરભાઈ ડિંડોર સાબરી ધામ પહોંચ્યા બાદ ભજન-કીર્તન કરી ભગવાન શ્રી રામનું સ્મરણ કર્યું અને ધાર્મિક વિધિ સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી. તેમની સાથે સ્થાનિક ભક્તો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ડૉ. કુબેરભાઈ ડિંડોરની આ આધ્યાત્મિક અને પરંપરાગત ઉતરાયણ ઉજવણીને લઈ સમગ્ર વિસ્તારમાં ચર્ચા રહી અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.
